કુલ પૃષ્ઠ અવલોકનો

ગુરુવાર, 23 મે, 2013

સર્વ ભિક્ષા અભિયાન




ઇન્ડીયન એક્સપ્રેસનો અહેવાલ, તા. 23 મે 2013

સર્વ શિક્ષા અભિયાન (એસએસએ) ગુજરાતનું વર્ષ 2012-13નું બજેટ રૂ. 39 અબજ (રીપીટ 39 અબજ) છે. તેમાં કેન્દ્રનો ફાળો 65 ટકા છે અને દર વર્ષે અબજો રૂપિયાનો વધારો થતો જાય છે. દલિત-આદિવાસી-વંચિત સમુદાયોના ડ્રોપ આઉટ બાળકોને ફરી શાળાના શિક્ષણમાં જોતરવાની આ એક અત્યંત ઉમદા યોજના છે. કોઈ બાળક આઠ વર્ષની ઉંમરે ત્રીજા ધોરણમાંથી ડ્રોપ આઉટ થયું હોય અને બે વર્ષ શાળાની બહાર રહ્યું હોય તો દસ વર્ષે તેને સીધું પાંચમા ધોરણમાં દાખલ કરી શકાય અને તે માટે તેને એસએસએ હેઠળ ખાસ તાલીમ આપવામાં આવે છે. બાલમિત્ર ડ્રોપ આઉટ બાળકોને એકઠા કરીને ત્રણ મહિનાના કે એક વર્ષના ખાસ તાલીમ કેન્દ્રમાં ભણાવે છે અને પછી તેમને તેમની ઉંમર અને આવડત પ્રમાણે જે તે વર્ગમાં દાખલ કરવામાં આવે છે. 

આવી યોજના ગુજરાતમાં સરસ રીતે ચાલે તો ભગવા ભુવાઓનો ધરમ લાજે. એસએસએની જ વેબસાઇટ પર આપેલ સત્તાવાર આંકડાઓનો અભ્યાસ કરતા જાણવા મકેન્દ્રો ળ્યું કે અમદાવાદના ચાલીસ વોર્ડોમાં ચાલતા 547 ખાસ તાલીમ કેન્દ્રો પૈકીના 206 કેન્દ્રો કાગળ પર જ ચાલે છે. આમાંના એકપણ કેન્દ્રમાં કોઈ વિદ્યાર્થી જ નથી. અમદાવાદમાં બાલમિત્રોની ફોજમાં મોટાભાગની બહેનો ભારતીય જનતા પક્ષની ઓશીંગણ છે. કેટલીક બહેનો સાથે વાત કરી. "બહેન તમારા કેન્દ્રમાં કેટલા બાળકો છે?" જવાબ મળ્યો, "વીસ-પચીસ હોય." "હોય નહીં, બહેન કેટલા છે તે કહો." શાકભાજીની લારીવાળો એના ટોપલામાં કેટલા રીંગણા હશે એના વિષે કોન્ફિડન્સથી બોલે છે. આ બહેનોને એમના પોતાના કેન્દ્રમાં કેટલા બાળકો છે તેની ખબર હોતી નથી. ક્યાંક દેરાણી કેન્દ્ર ચલાવે છે, પરંતુ તેનો મોબાઇલ તેની જેઠાણી પાસે છે. અને દેરાણી ક્યાં છે એના વિષે પૂછ્યું તો કહે છે, મીટિંગમાં છે. 

બાલમિત્રની નિમણૂંક માટે કોઈ નિશ્ચિત, ગુણવત્તા આધારિત પ્રક્રિયા નથી. નકરી લાગવગથી, ઓળખાણથી એડહોક ધોરણે બાલમિત્રની નિમણૂંક થાય છે. વાડજની શાળા નંબર-3,4માં અમે ગયા. ક્લસ્ટર રીસોર્સ સેન્ટરમાં બેઠેલી કીર્તિ બહેનના તેવર જોવા જેવા હતા. તે કહેતી હતી, "જલ્દી બોલો, મારી પાસે ટાઇમ નથી. આવા સંસ્થાવાળા તો કેટલાય આવે." ફલાણી બાલમિત્ર એકથી વધારે કેન્દ્રો કેમ ચલાવે છે, એવું પૂછતા તેણે નાક ચડાવીને કહ્યું, તમારે જાણીને શું કામ છે. અમે તમને આવી રીતે માહિતી ના આપીએ. સરકારનો પરિપત્ર લઇને આવો. કેવા વાહિયાત માણસો આ રાજ્યમાં દલિતો-આદિવાસીઓના રહેનુમા બનીને બેઠા છે. દલિતો-આદિવાસીઓના બહેરા-બોબડા રાજકીય પ્રતિનિધિઓને ખરેખર હવે વીજળીના કરંટ આપવાની જરૂર છે. 

દલિત હક રક્ષક મંચે પહેલી મે, 2013એ ગાંધીનગરની સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરીને પત્ર પાઠવ્યો અને ઉપરોક્ત આંકડાઓ-તથ્યોથી વાકેફ કર્યા. અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસારે "અમદાવાદી સરકારી શાળાઓમાં 27,000 ભૂતિયા વિદ્યાર્થીઓ છે," એવું નિવેદન કરેલું એનો રીપોર્ટ પણ જાહેર કરવા મંચે માગણી કરી. પરિણામે, દસમી મેએ કચેરીએ અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને પત્ર પાઠવીને સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી. (જુઓ ઇન્ડીયન એક્સપ્રેસમાં છપાયેલો રીપોર્ટ). આજે મંચે આરટીઆઈ કરીને ગાંધીનગરની કચેરી પાસે શાસનાધિકારીનો અહેવાલ આપવા માગણી કરી છે. 

આવી અબજો રૂપિયાની યોજનાના નાણા યોગ્ય રીતે વપરાય છે કે નહીં તે કોણ જોશે? કહેવાતા મનુવાદીઓને ગાળો બોલીને બેસી જઇશું? આપણા હાથમાં સત્તા નહીં આવે ત્યાં સુધી કશું થઈ શકે તેમ નથી, એવું કહીને આપણી નિષ્ક્રિયતાને શબ્દોના વાઘા પહેરાવતા રહીશું?

શુક્રવાર, 29 માર્ચ, 2013

એક હજાર વાલ્મીકિઓ પણ ઓછા પડે

 અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત પત્નીઓને શોધતા પ્રકાશ અને પપ્પુ
રાજસ્થાનથી ગુજરાતમાં મજુરીએ આવતા બાળ મજુરોની કલ્પાંત કથાઓ એવી હ્રદયદ્રાવક છે કે એને લખવા માટે એક હજાર વાલ્મીકિઓ પણ ઓછા પડે. દર વર્ષે ગુજરાતના હરિયાળા બીટી કોટનના ખેતરોમાં કામ કરવા હજારો બાળ મજુરોના ધાડે ધાડા ગુજરાતમાં ઉતરી પડે છે. એમાં મોટા ભાગના આદિવાસીઓ હોય છે. હવે માત્ર ત્રણ જ મહિના પછી આગામી જુલાઈમાં ગુજરાતની બીટી કોટન સીઝન શરૂ થવાની છે, ત્યારે ગયા વર્ષની એક ભયાનક ઘટનાની નોંધ ગુજરાતના બાળ અધિકાર ક્ષેત્રે કામ કરતા લોકોએ જરૂર લેવી જોઇએ. 

2012ની વીસમી ઓગસ્ટે પાટણ જિલ્લાના ચારુપ ગામે એક નાળામાં વહેલી પરોઢે રાજસ્થાન તરફથી ધસમસતી આવતી એક જીપ રસ્તાની બાજુએ મુકેલી લોખંડની રેલિંગ તોડીને નાળામાં ખાબકી હતી. તેમાં ઉદેપુર જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામ નેતાજી કા બારાના આદિવાસીઓ બેઠા હતા. તેમને તેમના જ ગામનો એજન્ટ બનાસકાંઠાના કાંકરેજ જવા લઇને નીકળ્યો હતો. નાળામાં ખાબકેલી જીપે સોહન માંગીલાલ ચૌહાણ નામના આદિવાસી બાળ મજુરનો ભોગ લીધો. ઘટના સ્થળે પહોંચેલી પોલિસે બાળકની લાશનું પંચનામુ પણ કર્યા વિના તેના સગાવહાલાઓને ચુપચાપ પાછા રાજસ્થાન રવાના કરી દીધા. બીજા દિવસે ગુજરાતી અખબારોએ તો ઘટનાની નોંધ ના લીધી, પરંતુ ટાઇમ્સ ઑફ ઇન્ડીયામાં એક નાનો અહેવાલ પ્રગટ થયો, જેમાં બાળકનું નામ માંગીલાલ ચૌહાણ હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્તોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે એવું પણ અહેવાલમાં જણાવાયું હતું.   

મુંબઇથી ક્રાઇના સાથી પ્રવિણભાઈનો ફોન આવ્યો અને તેમણે ઘટના વિષે મને જણાવતા હું એકવીસમી તારીખે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો. ટ્રોમા સેન્ટરમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બે ઇજાગ્રસ્ત આદિવાસી સ્ત્રીઓ આવી હતી, પરંતુ તેમને એ જ દિવસે એટલે કે વીસમી ઓગસ્ટે જ ડિસ્ચાર્જ કરી દેવામાં આવી હતી. દરમિયાન આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના સાથી દિપક ડાભી પાટણ પહોંચી ગયા હતા. ત્યાં તેમને પ્રકાશ(ઉંમર 19) અને પપ્પુ (ઉંમર 21) નામના બે આદિવાસી યુવાનો મળ્યા જેઓ અમદાવાદ ગયેલી તેમની પત્નીઓ અંગે ચિંતિત હતા અને તેમની શોધમાં અમદાવાદ આવ્યા નીકળ્યા હતા. દિપકે તેમને મારો મોબાઇન નંબર આપેલો એટલે તેઓ સિવિલ પહોંચ્યા ત્યારે તેમને શોધવામાં ઝાઝી તકલીફ પડી નહીં. બંને યુવાનોએ જે વાત કરી એ પ્રમાણે તો તેમનો એજન્ટ બંને સ્ત્રીઓને લઇને પાટણથી સિવિલ સારવાર કરાવવાના બહાને નીકળ્યો હતો અને તેમને અમદાવાદ જતી બસમાં બેસાડીને રસ્તામાં ક્યાંક ઉતરી ગયો હતો. બંને યુવાનોએ એમના ગામે ફોન કરીને પૂછ્યું તો જાણવા મળ્યું કે ચોવીસ કલાક પછી પણ તેઓ રાજસ્થાન પહોંચ્યા નહોતા. પ્રકાશ અને પપ્પુની માનસિક હાલતની તો કલ્પના જ કરવી રહી. પ્રકાશની પત્ની વક્તુ ઇજાને કારણે ચાલી શકતી નહોતી અને પપ્પુની પત્ની દેવલીનું નાક ભાંગી ગયું હતું અને માથુ ફાટી જતાં બાર ટાંકા લેવામાં આવ્યા હતા. ટાઇમ્સના અહેવાલ પ્રમાણે કલેક્ટર જે જી હિંગરાજીયા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લેબર કમિશનર જી એલ પટેલને આ મેટરમાં તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આટલી સખત ઇજા પામનારા લોકોને યોગ્ય દવાદારૂની તજવીજ કરવામાં પણ નિષ્ફળ જનારા તંત્રએ કેવી તપાસ કરી હશે તેનું અનુમાન લગાવી શકાય છે. 

બંને યુવાનો પાસે ઉદેપુર જવાનું ભાડુ પણ નહોતું. તેમને જરૂરી નાણાકીય સહાય કરીને બસમાં બેસાડવા સાથી રાજેન્દ્ર વાઢેલને મેં જણાવ્યું. તેઓ તેમના ગામ નેતાજી કા બારા પહોંચ્યા પછી બે દિવસ મોબાઇલ ફોન દ્વારા સંપર્કમાં રહ્યા હતા, પરંતુ તંત્રએ વાયદો કર્યો હતો તે પ્રમાણેનું કોઈ જાતનું પુનસ્થાપન થયું હોવાના વાવડ નહોતા. જે સરકાર દિલ્હીના રાષ્ટ્રીય બાળ આયોગ આગળ પણ બીટી કોટનના બાળ મજુરોના પ્રશ્ને ઉલાડા કરે છે એની શાન કોણ ઠેકાણે લાવશે? ઇન્ટર સ્ટેટ માઇગ્રેશન એક્ટની કલમો કાગળ પર જ રહી ગઈ છે. આના કરતા તો રાજસ્થાન અને ગુજરાત બે અલગ દેશો જ હોત તો બાળ મજુરોના વ્યાપારનો મુદ્દો કમ સે કમ સંયુક્ત રાષ્ટ્રોમાં ચગાવી શકાયો હોત.